શું તમે ક્યારેય વિચાર્યું છે કે અમદાવાદમાં નવરંગપુરાનું નામ કેવી રીતે પડ્યું? કે પછી શાહીબાગ નામ કોણે પાડ્યું હશે? મીઠાખળી નામ કોના દિમાગમાં આવ્યું હશે? અમદાવાદમાં દરેક વિસ્તારના નામ પાછળ કોઈને કોઈ રસપ્રદ કિસ્સો રહેલો છે. જાણો અમદાવાદના જાણીતા વિસ્તારના નામ કેવી રીતે પડ્યા. તો ચાલો જોઈએ અમદાવાદ વિશેની આ ઐતિહાસિક અને રસપ્રદ હકીકતો ને... !
શાહીબાગ:-
શહેનશાહ શાહજહાં કે જેણે 1630માં જ્યારે દુકાળ પડ્યો ત્યારે રાહત કાર્ય માટે આ વિસ્તારને બનાવ્યો હતો. અહી 12 બુરજ એટલે કે કિલ્લાઓ આવેલા હતા અને તેની અંદર રાજા તથા તેના અધિકારીઓ માટે મહેલો, કમાનો, બાગ બગીચા બનાવવામાં આવ્યા હતા. રસપ્રદ વાત તો એ છે કે શાહજહાંએ શાહીબાગ તો બનાવ્યો પરંતુ પ્રવેશ દ્વાર નીચો હોવાથી તે તેમાં હાથી પર બેસીને પ્રવેશી શકતો ન હતો. એટલે તે ગુસ્સામાં મોં ફેરવીને જતો રહ્યો હતો અને પછી ક્યારેય આ વિસ્તારમાં ફરી આવ્યો ન હતો. અને જ્યારે પ્રવેશ દ્વાર ફરીથી બન્યો ત્યાં સુધીમાં તો સત્તા જ બદલાઈ ચૂકી હતી અને શાહજહાંનો પુત્ર ઔરંગઝેબ સત્તા પર આવી ગયો હતો. કપિલરાય મહેતાએ એડિટ કરેલા પુસ્તક અમદાવાદ 1958 મુજબ શાહજહાં ફરી ક્યારેય અમદાવાદમાં આવ્યો ન હતો.
મીઠાખળી:-
મીઠાખળી એ પહેલાં ચંગીઝપુર તરીકે ઓળખાતું હતુ. તે મહેમૂદના ગુલામ ચંગીઝખાન નામના શખ્સે બનાવ્યું હતું. આ વિસ્તારમાં મીઠુ એટલે કે નમક પુષ્કળ માત્રામાં ઉપલબ્ધ થતું હતુ. આ વિસ્તારમાં મીઠાના અનેક ખળા આવેલા હતા અને એના જ કારણે તેનું નામ મીઠાખળી પડી ગયુ હતુ.
કોચરબ-પાલડી:-
દેવી કોચ્ચરવાના નામ પરથી આ વિસ્તારનું નામ પડ્યું છે. રાજા કરણદેવ સોલંકી આ વિસ્તારના સ્થાપક હતા.
સી.જી.રોડ:-
શહેરના અગ્રણી એવા મોભી ચીમનલાલ ગિરધરલાલના નામ પરથી આ રોડનું નામ પડ્યું છે.
પ્રિતમનગર:-
આ અમદાવાદની સૌપ્રથમ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી હતી અને તેનું નામ સરદાર પટેલે સોસાયટી બાંધનાર પ્રિતમરાય વ્રજરાય દેસાઈના નામ પરથી પાડ્યું હતું.
આંબાવાડી:-
આંબાના અઢળક ઝાડ હોય તેવો વિસ્તાર એટલે આંબાવાડી. આ વિસ્તારમાં અનેક ગણા આંબાના ઝાડ હોવાથી તેનું નામ આંબાવાડી પડ્યું હતુ. પરંતુ હવે આ વિસ્તારમાં જોઈએ તો આંબાના એ ઝાડ નથી રહ્યા.
સેટેલાઈટ:-
હજુ તો ઘણાને એવુ જ લાગે છે કે આ વિસ્તાર એ નવુ અમદાવાદ હોવાને કારણે તેનું નામ સેટેલાઈટ પાડવામાં આવ્યું છે. પરંતુ ખરી વાસ્તવિકતા એ નથી. પરંતુ એ છે કે અહીં ISROની સ્થાપના થતા આ વિસ્તારનું નામ સેટેલાઈટ પડી ગયુ હતુ.
આસ્ટોડીયા:-
હજુ એવી ધારણા છે કે આ વિસ્તારમાં આસ્ટોડિયન, અસોરિયમ નામનું સબર્બ હતુ અને તેના પરથી આસ્ટોડિયા દરવાજા નામ પાડવામાં આવ્યું છે.
કાંકરીયા:-
આમ તો કાંકરિયાનો સીધો અર્થ થાય છે બહુ કાંકરા વાળી જગ્યા. પણ એના પાછળ પણ એક કહાની છે... સુલતાન કુતુબુદ્દીન તેના સાવકા ભાઈ ફતેહ ખાનને મારવા માંગતો હતો. તેનો સાવકો ભાઈ તેની માતા બીબી મોઘલી સાથે હઝરત ઈ શાહ એલાનની નજરબંધીમાં હતો. એટલે સુલતાને આયોજન કરીને તળાવ અને નગીના વાડી બનાવાનું શરૂ કર્યું. તે એવું વિચારતો હતો કે ફતેહ ખાન ત્યાં ફરવા આવશે અને પોતે તેને કેદ કરી લેશે પરંતુ શહેઝાદો એ વિસ્તારમાં ક્યારેય આવ્યો જ નહિં. હઝરત-ઈ-શાહ આલમ ખોદકામ ચાલતુ હતુ ત્યારે આ વિસ્તારમાંથી પસાર થયા હતા અને તેમને પગમા કાંકરો વાગતા બોલી ઉઠ્યા હતા કે કેવો કાંકરો છે! આ ઘટના પરથી જ તળાવનું નામ કાંકરિયા પાડવામાં આવ્યું હતું.
મણિનગર:-
એક સમયે અમદાવાદમાં સૌથી વધારે બાગ-બગીચા આ વિસ્તારમાં આવેલા હતા. આ વિસ્તાર શેઠ મણિલાલ રણછોડલાલની યાદમાં માણેકલાલ મણિલાલ અને છોટાલાલ કેશવલાલ દ્વારા સ્થાપવામાં આવ્યો હતો. આ વિસ્તાર મુંબઈની સરકારના સર્વેયર એ.ઈ મીરા અને કમિશનર એફ.જી પ્રત તથા ચેટફિલ્ડના કલેક્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.
નવરંગપુરાઃ-
સુલતાન ઔરંગઝેબના સુબા એવા નવરંગમિયાંના નામ પરથી આ વિસ્તારનું નામ નવરંગપુરા પડ્યુ છે. આ વિસ્તાર લગભગ 240 વર્ષ પહેલા બાંધવામાં આવ્યો હતો.
ઉસ્માનપુરાઃ-
કુતુબ-ઈ-આલમના વારસદાર એવા સૈયદ ઉસ્માન દ્વારા આ વિસ્તાર સ્થાપવામાં આવ્યો હતો. આ વિસ્તાર ઘી અને ભારતીય ઔષધોના વેપાર માટે ખૂબ જ જાણીતો હતો.
સરસપુરઃ-
અમદાવાદનું આ સૌથી મોટુ એવું સબર્બ હતુ. આ વિસ્તારનો કિલ્લો 1848માં બાંધવામાં આવ્યો હતો. તે ખૂબ સારુ હોવાથી આ વિસ્તારને સરસપુર નામ આપવામાં આવ્યું હતું.
કાળુપુરઃ-
- મહેમુદ બેગડાના અમીર અબા હાજી કાળુના નામ પરથી આ વિસ્તારનું નામ પાડવામાં આવ્યું છે.
Tags:
જાણવા જેવું